Friday, April 19, 2013

બંધ બારણાં - કોઈ આવશે તો? - નયનેશ વોરા

" મેં  તો  ચાહત નાં  દ્વારને
                           વાસ્યાં  હતાં;
એ તો  ચાલ્યાં  ગયા 
                          બંધ  જોઇને!"    

ઘણી વાર  આપણે  એવું થતું  અનુભવ્યું હશે કે, કોઈ દોસ્ત ની  બહુજ યાદ આવી જાય અને એને મળીને ગપશપ કરવાનું મન થયું હોય તો ક્યારેક મુશ્કેલી ના  સમયમાં દિમાગને હળવું કરવાની અદમ્ય ઈચ્છા થઇ જતી હોય છે. આપણે  એ દોસ્તને ઘરે જઈએ  છીએ, અને ડોરબેલ ને  આપણી  આંગળીયોના  સ્પર્શનો અભાવ  રહી જતો  મહેસુસ  કર્યો હોય - કારણ કે બંધ દ્વાર ઉપર  એક તાળું લટકતું જોયેલું  હોય. એવું પણ બની શકે કે, ત્યારે આપણે  એકદમ  નિરાશ  થઇ જતા હોઈએ છીએ. યાદ ઉભરા જેવી હોય છે , દૂધ ગરમ કરીએ અને ઉભરો આવે કે સોડા બોટલ નું ઢાંકણું ખુલતા જ સોડા માં ઉભરો આવે તેમ યાદ ઉભરો બની જાય અને પછી આવે તે હોય છે વાસ્તવિકતા...આપણે જે રીતે વિચારતા હોઈએ તે રીતે દરેક સામે ની વ્યક્તિ વિચારતી હોય એ જરૂરી નથી હોતું.

તાજેતર માં છાપાઓ માં વાંચેલું યાદ આવ્યું કે તમિલનાડુ રાજ્ય માં એક ગામ એવું છે કે જ્યાં મકાનો માં બારણાં રાખવા ની પ્રથા જ નથી. એવું માનવા માં આવે છે કે અહીં દૈવી શક્તિ ની એવી આણ છે કે રક્ષા માટે બારણાઓ ની જરૂર પડતી નથી, એટલે ચોરી પણ થતી નથી. અહીં વાત શ્રધ્ધા ની છે - શ્રદ્ધા નું નામ હોઈ શકે?

કવિ એટલેજ કહે છે કે ખુદા ને પામવા નું નામ જ શ્રદ્ધા! આજે બધું જ બદલાઈ ગયું છે; અલગતાવાદે બારણાં ની આવશ્યકતા ઉભી કરી કે બારણાં ઓ એ અલગાવવાદ નો પાયો નાખ્યો એ કહી શકાતું નથી.  વિકાસ ની સાથે સાથે આપણું મન માત્ર પોતાના જ વિચાર કરવા લાગ્યું અને હૃદય માં પણ બારણાં ઓ પડી જતાં જોયાં.. !

એક મિત્ર ને કાર્યક્રમ ના સંચાલન દરમ્યાન એવું કહેતા સાંભળ્યા કે, શહેર ના ટ્રાફિક સિગ્નલ પર રસ્તો ખુલવા માટે રિવર્સ કાઉન્ટ શરુ થાય તે દરમ્યાન ભિખારી ને જોઈ ને આપણે કાર ના કાચ ચડાવી દઈએ છીએ.. ખરો પ્રશ્ન એ છે કે આપણે કેમ નથી વિચારતા કે જયારે આપણે મંદિર માં  જઈએ છીએ ત્યારે ભગવાન આવા કોઈ કાચ ચડાવે તો? આનો જવાબ ના હોય છે કારણ કે એ ભગવાન છે અને આપણે માણસ છીએ. મહત્વ ની વાત એ છે કે સામે ના માણસ ની પરિસ્થિતિ માં મુકાઇ ને જો વિચારવા માં આવે તો કદાચ આપણે આવું કરતા અટકીએ.  કોઈ આવે ત્યારે કાચ ચડાવીએ નહી અને અડધો કાચ પણ સાવ જ ઉતારી નાખીએ. વિચારવા ની તસ્દી જ ન લેવા ને કારણે વાદ-વિવાદ ઉભા થતા હોય છે. કુદરત ને બચાવવાના નારા ઓ ની જરૂર નથી; ખરેખર તો માણસ ના મનને પ્રદુષણ થી બચાવવા માટે ના slogans ની હવે જરુરીયાત ઉભી થઇ છે.

પૃથ્વી વિષે જો એવું slogan હોય કે "Our mother earth, let us care and share" તો પછી આપણા મન વિષે એવું કહી શકાય , "Mind is our father. Let us think and think again."

          રાહોં પે નઝર રખના
                  હોઠોં પે દુવા રખના
          આ જાયે કોઈ શાયદ
               દરવાજા ખુલા રખના।

માણસ ને જરૂર એટલી જ છે કે એને ક્યારેય બંધ દ્વાર નો સંકોચ ના રહેવો જોઈએ!

નયનેશ વોરા - લખ્યા તા: 09-માર્ચ -2006

No comments:

Post a Comment